નવી દિલ્હીઃ ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુર ભડકેલી હિંસા મામલે તાજેતરમાં UNમાં ટીપ્પણી કરવામાં આવી હતી. જોકે આ ટીપ્પણી પર ભારત દ્વારા વળતી પ્રતિક્રિયા પણ સામે આવી છે.
UN મણિપુર મુદે થયેલી ટિપ્પણીઓને ભારતે તદ્દન નકારી કાઢી છે. ભારતના પ્રતિનિધિએ આ ટિપ્પણીઓને અયોગ્ય, અનુમાનિત અને ભ્રામક ગણાવી હતી. સાથે જ કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે.
સોમવારે સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ કહ્યું હતું કે, મણિપુરમાં મહિલાઓ અને છોકરીઓને નિશાન બનાવીને લિંગ આધારિત હિંસાના સમાચાર અને તસવીરો ખૂબ જ ચિંતાજનક છે. આ સાથે તેમણે ભારત સરકારને હિંસાની ઘટનાઓની તપાસ કરવા અને ગુનેગારોને જવાબદાર ઠેરવવા માટે સમયસર પગલાં લેવા વિનંતી કરી.
UNના નિષ્ણાતોએ મણિપુરમાં કથિત જાતીય હિંસા, ન્યાયવિહિન હત્યાઓ, બળજબરીથી વિસ્થાપન, ત્રાસ અને દુર્વ્યવહાર સહિતના ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી.