જાણીતી પેઈન્ટ બ્રાન્ડ એશિયન પેઈન્ટ્સના સહ સ્થાપક અશ્વિન સૂર્યકાંત દાણીનું ગુરુવારે 81 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ એશિયન પેઈન્ટ્સ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. તેઓ ડિસેમ્બર 1998થી 2009 સુધી કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા.
એશિયન પેઈન્ટ્સ ભારતની સૌથી મોટી પેઈન્ટ કંપની છે જે 16 દેશોમાં કાર્યરત છે. અબજોપતિ અશ્વિન દાણીને એશિયન પેઈન્ટ્સ તેમના પિતા સૂર્યકાંત પાસેથી વારસામાં મળી હતી. તેની શરુઆત 1942માં દાણીના પિતા સૂર્યકાંત અને અન્ય ત્રણ લોકોએ કરી હતી. અશ્વિન દાણીના શિક્ષણ વિશે વાત કરીએ તો તેઓ 1966માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરી હતી. ત્યારબાદ તેઓ એક્રોન યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ ગયા.
તેઓએ પ્રથમ જોબમાં રસાયણશાસ્ત્રી તરીકે કામ કર્યું હતું. બાદમાં 1968માં તેઓ તેમના પારિવારિક વ્યવસાય એશિયન પેઈન્ટ્સમાં જોડાયા. 1997માં તેઓ એશિયન પેઈન્ટ્સના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા.
દાણીના નેતૃત્વ હેઠળ એશિયન પેઈન્ટ્સે વૈશ્વિક સ્તરે તેની કામગીરીનો વિસ્તાર કર્યો અને વિશ્વની અગ્રણી પેઈન્ટ કંપનીઓમાંની એક બની.
અશ્વિન દાણીએ સંશોધનમાં ભારે રોકાણ કર્યું, જેણે કંપનીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આજે એશિયન પેઈન્ટ્સ ભારતની સૌથી મોટી પેઈન્ટ કંપની છે. તે એશિયાની ત્રીજી સૌથી મોટી અને વૈશ્વિક સ્તરે નવમી સૌથી મોટી કંપની છે.