ગુજરાત મોડેલની સત્યતા ચોંકાવનારી; ખાડામાંથી પાણી પીવાની મજબૂરી; ત્રણ બાળાઓ ડૂબતા મોત

પંચમહાલઃ ગુજરાત મોડલની સત્યતા ખુબ જ ચોંકાવનારી છે. કેમ કે વિકાસની મોટી-મોટી જાહેરાતો નીચે અનેક લોકોના જીવ દબાઇ જઈ રહ્યા છે. ગુજરાત મોડલમાં પણ જનતાને ખાડામાંથી પાણી પીવું પડી રહ્યું છે તેવું ક્યારેય વિચાર્યું હશે ખરૂ? પરંતુ જી હાં.. પંચમહાલમાં અનેક લોકોને ખાડામાંથી પાણી પીવાની મજબૂરી સામે આવી છે. આ મજબૂરીના કારણે ત્રણ બાળકીઓએ પોતાના જીવ પણ ગુમાવવા પડ્યા છે. પાછલા ત્રણ દાયકાથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને વિશ્વના મંચ પર જાહેરાતો થકી ચમકાવીને પોતાની કમીઓને છૂપાવી દીધી છે. “સબ ચંગા સી”ની વાતો વચ્ચે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

ઘોઘંબાના સીમળિયાના પીપળીયા ગામમાં ડૂબી જવાને કારણે ત્રણ બાળકીનાં કરૂણ મોત નીપજ્યાં છે. આ ત્રણેય બાળકીઓ મંગળવારે બકરીઓને ચરાવવા માટે ગઇ હતી. આ ત્રણ પૈકી એકને તરસ લાગતા તે ખાડામાં પાણી પીવા માટે ગઇ હતી.

પાણી પીવા જતા તેનો પગ લપસતાં તે ખાડામાં પડી ગઇ હતી. આ એક બાળકીને બચાવવા માટે જતા અન્ય બે બાળકીઓ પણ ખાડામાં પડી હતી.  ઘોઘંબાના સીમળિયાના પીપળીયા ગામમાં એક જ ફળિયામાં રહેતી અને એક જ કુટુંબની ત્રણ માસૂમ બાળકીઓના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

આ ત્રણ બાળકીઓ બકરી ચરાવવા માટે ગઇ હતી. જે દરમિયાન એક બાળકીને તરસ લાગતા તે કોતરોમાં બનાવેલા ખાડામાં પાણી પીવા માટે ગઇ હતી. આ બાળકીનો પાણી ભરેલા ખાડામાં લપસી જતાં અન્ય બે કિશોરી બચાવવા જતાં ત્રણેયના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યાં છે.

ત્રણ બાળકી પૈકી એકની ઉંમર પાંચ વર્ષની અને બે બાળકીઓની ઉંમર 12 વર્ષની છે. એક જ પરિવારની ત્રણ બાળકીના સાથે મોત થતા આખા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. થોડા દિવસ પહેલા ભાવનગરમાં પણ આવી જ એક દુર્ઘટના બની હતી. સિદસરમાં ચાર બાળકીઓના ડૂબી જતા મોત થયા હતા. બોરતળાવમાં નાહ્વા પડેલી પાંચ બાળકીઓ ડૂબી હતી. જેમાં 5 બાળકીઓમાં એકનો બચાવ થયો છે. તેમજ અન્ય 4ના મોત થયા હતા.