અમરનાથ યાત્રા શરૂ થયાને માત્ર 10 દિવસ થયા છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મળતા અહેવાલો મુજબ હિટવેવના કારણે બાબા બર્ફાની વિલીન થઈ ગયા છે. આ વર્ષે યાત્રા 29 જૂને શરૂ થઈ હતી, જોકે છ જુલાઈએ વિગતો સાંપડી છે કે, અમરનાથ ગુફામાં હિમલિંગ (બરફથી બનેલું શિવલિંગ) પિગળી ગયું છે. ઓછા સમયમાં બાબા બર્ફાની અદૃશ્ય થવા પાછળ ગરમી જવાબદાર છે. તો જાણીએ આ સમસ્યાને અટકાવવા માટે શું પગલાં ભરવા જરૂરી છે.
ગરમીના કારણે પીગળીગયા બાબા બર્ફાની
અમરનાથની ગુફામાં કુદરતી રીતે બરફના શિવલિંગનું નિર્માણ થાય છે. ઉનાળામાં આ ગુફાની અંદરનું પાણી થીજી જાય છે, જેના કારણે શિવલિંગનો આકાર વધે છે. નિષ્ણાતોનું માનવું છે કે, જ્યારે ઓછો વરસાદ પડે છે, ત્યારે કોઈપણ વિસ્તારમાં ગરમી વધે છે. આ ઉપરાંત આ વખતે ભીષણ ગરમી પણ પડી છે. ઉત્તર અને મધ્ય ભારત મે મહિનાથી જ ભીષણ ગરમનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ કાશ્મીર ખીણમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જે સામાન્યથી 7.9 ડિગ્રી સેલ્સિયસ વધું હતું. અમરનાથ ગુફાના પુજારીઓએ પણ દાવો કર્યો છે કે, આ વખતે ગરમીના કારણે બાબા બર્ફાની પીગળી ગયા છે.
જળવાયુ પરિવર્તનના કારણે ખીણમાં પણ બદલાયું વાતાવરણ
હવામાન વિભાગના જમાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિગંના કારણે વિશ્વભરમાં જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે. આ કારણે ખીણના લોકો પણ ભીષણ ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે, જેની સીધી અસર બાબા બર્ફાની પર પડી છે. જોકે માત્ર ગ્લોબલ વોર્મિંગ જ નહીં, ગુફાની આસપાસ માનવીય અને યાંત્રિક પ્રવૃત્તિઓ વધવાના કારણે પણ અસર પડી હોય તેવું કહેવાય છે.
ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવો પડશે
આ પરિવર્તન માટે વાસ્તવિક જવાબદાર ગ્લોબલ વોર્મિંગ છે, જેની સાથે સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે. જેના કારણે ડુંગરાળ વિસ્તારોમાં પણ આ વખતે ગરમી વધી છે. ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે સમગ્ર વિશ્વને પ્રકૃતિ તરફ પાછા ફરવું પડશે અને વધતા કોંક્રિટ જંગલો અને મશીનોનો ઉપયોગ અટકાવવો પડશે. હાલમાં સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે આગામી સમયમાં પણ કુદરતી આફતો અને ભારે ગરમીનો સામનો કરવો પડી સકે છે.