કચ્છ પર ‘અસના’ વાવાઝોડાની અસર શરૂ; 118થી વધારે વીજપોલ ધરાશાયી

કચ્છનાં માંડવીમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. માંડવીમાં પવનની ગતિમાં વધારો થયો છે. માંડવીમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તન થઈ શકે છે. કચ્છમાં ભારે પવનની આગાહીને લઈ તંત્ર એલર્ટ છે. વાવઝોડાને સાવચેતીના ભાગરૂપે ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

કચ્છમાં ભારે વરસાદ સાથે પવનથી વીજ પુરવઠાને વ્યાપક અસર થવા પામી છે. કચ્છમાં વેગીલા પવનથી 118 થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. માંડવી, મુન્દ્રા, કોઠારા, દયાપર સહિતનાં ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. કચ્છનાં ગામડાનાં જ્યોતિગ્રામનાં 81 સહિત 336 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ થયો છે.

કચ્છ જીલ્લામાં સંભવિત વાવાઝોડાનો ખતરો છે. અસનાં વાવાઝોડાને ધ્યાને રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે. કચ્છમાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બાબતે કલેક્ટરે જણાવ્યું હતું કે, અસના વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. તેમજ સાવચેતીનાં ભાગરૂપે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ માંડવી, અબડાસા, લખપતમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકોને કાચા મકાનમાં ન રહેવાની કલેક્ટરની અપીલ છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, જે ડીપ ડિપ્રેશન હાલમાં કચ્છના ભુજ નજીક યથાવત છે, તે આગળ વધતા અરબ સાગરમાં સમાઈ જશે પરંતુ, આ ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મ એટલે કે વાવાઝોડાના સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે. તે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી અરબ સાગરમાં જ સમાઈ જશે.

આ પણ વાંચો- સપ્તાહના છેલ્લા દિવસે શેર માર્કેટે તોડ્યા તમામ રેકોર્ડ; સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઇ

જોકે, આ વાવાઝોડાનું આયુષ્ય ખૂબ જ ઓછું હશે અને તેની સક્રિયતા પણ ઓછી હશે એટલે કે ડીપ ડિપ્રેશન નબળા વાવાઝોડા સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે, જેને કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર થશે નહીં. રાજ્યના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્ર કચ્છના પણ મોટાભાગના જિલ્લાઓમાં તેની અસર નહીંવત પ્રમાણમાં રહેશે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજના વાવાઝોડાની અસર રહેશે નહીં પરંતુ, સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા અંશે અસના વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન લગભગ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમે-ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજકોટને બાદ કરતાં ગુજરાત રાજ્યના ત્રણ મહાનગરોમાં એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં અસના વાવાઝોડાની અસર રહેશે નહીં. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અસના વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવવાની સાથે હળવા વરસાદ વરસી શકે છે.

એક દુર્લભ ઘટના અંતર્ગત ગુજરાતના દરિયાકાંઠે આવેલું હાલનું ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાં પશ્ચિમ તરફની મુસાફરી માટે કમર કસી રહ્યું છે, જ્યાં તે ચક્રવાતમાં વિકસિત થવાની સંભાવના છે. આ ઘટના નોંધનીય છે કારણ કે, તે છેલ્લા 80 વર્ષોમાં માત્ર ચોથી ઘટના છે, જેમાં જમીન પર સક્રિય હવામાન પ્રણાલી સમુદ્ર સુધી પહોંચ્યા પછી ચક્રવાતમાં સંક્રમણ કરે છે. ભૂતકાળમાં, જમીન પર સક્રિય આવી ડીપ ડિપ્રેશન 1944, 1964 અને 1976ના વર્ષોમાં અરબી સમુદ્રમાં સંક્રમણ પામ્યું છે. IMDના વૈજ્ઞાનિક સોમા સેન રોયે જણાવ્યું હતું કે, “છેલ્લા 48 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે અમે આવી ઘટના જોઈ રહ્યા છીએ.”

આ પણ વાંચો- વડોદરામાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા કોપોરેટરને ઉભી પૂછડીએ ભાગવું પડ્યું

વધુમાં હવામાન વિભાગે ઉમેર્યું હતું કે, તે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધે, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક અરબી સમુદ્રમાં ઉભરી આવે તેવી સંભાવના છે. તે 30 ઓગસ્ટના રોજ ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બની શકે છે. ત્યારબાદ, તે આગામી બે દિવસ દરમિયાન ભારતીય દરિયાકાંઠાથી દૂર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં લગભગ પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુરુવારે એકાંત સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. વળી, શુક્રવારે પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારબાદ 31 ઓગસ્ટ, શનિવારે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ગુરુવાર અને શુક્રવારે દક્ષિણ ગુજરાત વિસ્તાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની સંભાવના છે. આ દરમિયાન માછીમારોને શનિવાર સુધી ગુજરાતના દરિયાકિનારે અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ અને બહાર દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો- દિનેશ કુશવાહ પણ હિન્દી બોલવામાં રૂપાણીના ભાઈ નિકળ્યા!!! કહ્યું- “મેં રકાબી મે કાણા પાડુંગા”

આ હવામાનશાસ્ત્રીય ઘટના હવામાનશાસ્ત્રીઓને આવી દુર્લભ ઘટનાનો અભ્યાસ કરવા અને સમજવા માટે નોંધપાત્ર તક પણ પૂરી પાડે છે, જે ભવિષ્યની હવામાન પ્રણાલીઓ માટે આગાહીયુક્ત મોડેલિંગને સમૃદ્ધ બનાવી શકે છે.