રાજ્યમાં એક જ સભ્યનું OBC કમિશન : 07 મહિના વીત્યા છત્તા બે સભ્યોની નિમણૂંક થઈ નહિં; હાઇકોર્ટે ચીફ સેક્રેટરીનો જવાબ માંગ્યો

ગુજરાત હાઇકોર્ટમાં વિસનગરના ઉમિયા પરિવાર દ્વારા એડવોકેટ વિશાલ દવે મારફતે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનવણી ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ હાથ ધરાઈ હતી. અરજીમાં જણાવાયું હતું કે રાજ્યમાં OBC કમિશનની સ્થાયી રૂપે રચના નથી કરાઈ, કમિશન સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને સેન્ટ્રલ OBC કમિશનની જેમ નથી, તે ફક્ત એક જ સભ્યનું કમિશન છે. જેના ચેરમેન નિવૃત્ત હાઈકોર્ટ જજ છે. દર 10 વર્ષે OBC જ્ઞાતિઓને લઈને સમીક્ષા કરવાની હોય તે પણ થતું નથી.

અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે સરકારે આ માટે સમય માંગ્યો હતો. આ કમિશનમાં ચેર પર્સન સાથે અન્ય બે સભ્યો હોવા જોઈએ. કુલ 03 સભ્યો કમિશનમાં હોવા જરૂરી છે. એટલે કે 02 સભ્યોનું નિમણુક કરવાની છે. જે મુદ્દે સરકારી વકીલે જણાવ્યું હતું કે આ અંગેની ફાઈલ રાજ્યના મુખ્યમંત્રીના એપ્રુવલ માટે મોકલી અપાઇ છે. જાન્યુઆરી મહિનામાં સરકારે સમય માંગ્યો હતો જેના સાત મહિના વિત્યા બાદ આજે સરકારે જણાવ્યું હતું કે બે મેમ્બરની નિમણૂક કરવા માટે હજી પણ નિર્ણય લેવાનો બાકી છે. જો કે કમિશન અસ્તિત્વમાં છે અને એક મેમ્બરથી પણ ચાલી રહ્યું છે.

તેથી હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી કે વાર્તાની જગ્યાએ શું કામ થયું છે તે વિશે જણાવો. કમિશન ફક્ત પેપર ઉપર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ એક મેમ્બરનું કમિશન હોઈ શકે નહીં. જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અર્થઘટન કરીને સરકાર એક મેમ્બરના કમિશનથી કામ ચલાવવા માંગતી હોય તો શા માટે બીજા બે મેમ્બર લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો ? શા માટે કમિશનની ફેર રચના કરવામાં આવી? જો સરકાર પાસે જવાબ ના હોય તો તે કોર્ટ પાસે સમય માંગે નકામી દલીલો કરે નહિ. પહેલા મહિનામાં તમે કોર્ટને બે સભ્યોના નિમણૂક કરવાની બાહેધરી આપી હતી તો 07 મહિનામાં તમે શું કર્યું ? કોર્ટની ગેરમાર્ગે દોરવામાં આવે નહિ. હાઇકોર્ટે ઓબીસી કમિશનની રચના મુદ્દે રાજ્યના ચીફ સેક્રેટરીનો જવાબ માગ્યો હતો આ મુદ્દે વધુ સુનાવણી 20 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

અગાઉ આ કેસમાં કોર્ટમાં રજૂઆતો થઈ હતી કે આ કમિશનની રચના લેજિસ્લેટિવ બોડી દ્વારા થવી જોઈએ નહિ કે એક્ઝિક્યુટિવ બોડી દ્વારા. તેના ચોક્કસ નિયમો અને નીતિઓ હોવા જોઈએ જે નથી. સુપ્રીમકોર્ટ દ્વારા ઇન્દિરા સહાનીના કેસમાં કેન્દ્રમાં અને દરેક રાજ્યમાં સ્થાયી OBC કમિશનની રચનાના નિર્દેશ આપ્યા છે, પરંતુ ગુજરાતમાં કામચલાઉ રીતે કમિશન રચવામાં આવ્યું છે. OBC કમિશને અન્ય પછાત જાતિઓને ઓળખી તેની પરખ કરીને સ્ટેટ OBC લિસ્ટમાં સમાવેશ કરવાનો હોય. તેની સત્તા હાઈકોર્ટ જેટલી હોય છે.

કોર્ટે કહ્યું હતું કે દર પાંચ વર્ષે કમિશનના ચેરપર્સન નિવૃત્ત થાય છે, કમિશન કાયમી જ છે. સ્થાયી કમીશનની રચના માટે લેજિસ્લેટિવ દ્વારા થવી જોઈએ. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે કમિશનમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર કેમ કોઈ તજજ્ઞ ને રખાયા નથી ? બોડી નો અર્થ ફક્ત એક વ્યક્તિ હોઈ શકે નહિ. બોડીનું કાર્ય સમયાંતરે OBC જ્ઞાતિઓની સમીક્ષા કરવાનો છે. ફક્ત કમિશન પાસે આવતી ફરીયાદો જોવાનું નથી અરજદારે જણાવ્યું હતું કે અન્ય પછાત જ્ઞાતિઓ માટે જ્યારે નીતિઓ બનાવવાની હોય ત્યારે સરકારે કમીશનનો સંપર્ક કરવો પડે. OBC કમિશનનું કાર્ય ભલામણો કરવાનું છે.