રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ પણ આપવામાં આવી છે. ત્યારે ગત 15 દિવસમાં 8થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાયલીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના વિસ્તારમાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં સગીરા પોતાના મિત્રને મળવા ગઇ હતી હતી, આ દરમિયાન ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી ગયા હતા. ત્યારબાદ સગીરાને અવાવરૂ જગ્યા પર લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું છે.