ગુજરાતના કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા મધરાત્રે લગભગ 3 વાગીને 54 મિનિટે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 હોવાનું સામે આવી રહ્યું છે. આ ભૂકંપના કારણે ભરઉંઘમાં રહેલા લોકો પણ સફાળા જાગીને ઘરની બહાર ભાગ્યા હતા.
ભૂકંપના કારણે એક રીતની અફરા-તફરી મચી જતાં ડરનો માહોલ ઉભો થયો હતો. ઉલ્લેખનિય છે કે, કચ્છના લોકોને ભૂકંપનો ખરાબ અનુભવ એક વખત થઈ ચૂક્યો છે. તેથી અડધી રાત્રે ભૂકંપ આવ્યો હોવા છતાં લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
અત્યાર સુધી મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ખાવડાથી લગભગ 47 કિ.મી. ઉત્તરપૂર્વમાં બતાવાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ મોટાપાયે નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.