સરકારે જમીન રિ-સર્વેની અરજી કરવાની મુદ્દતમાં કર્યો વધારો; પ્રશ્ન યથાવત

ગાંધીનગર: રાજ્ય સરકારે ફરી એકવાર જમીન માપણીમાં રહેલી ક્ષતિઓને દૂર કરવા જમીન રિ-સરવેની અરજી કરવાની મુદતમાં વધારો કર્યો છે. સરકારે 31 ડિસેમ્બર 2024 સુધી પ્રમોલગેશન બાદ રહેલી ભૂલ સુધારવાનો સમય નક્કી કર્યો છે. જો કે આ વાતમાં ખાસ નવું નથી. અગાઉ જમીન માપણીની ભૂલ સુધારવા અનેક વખત મુદત પડી જ છે ત્યારે ફરી એકવાર મુદત પડી. હવે એક વર્ષ દરમિયાન આ તમામ ક્ષતિઓ સુધરશે કે કેમ. જમીન માપણીમાં ખેડૂતો જે રીતે સરવેની માગ કરી રહ્યા છે તે રીતે સરકાર સરવે કરતી નથી તો ખેડૂત ઈચ્છે છે એવી રીતે જમીન માપણીની ક્ષતિ કઈ રીતે સુધરશે.

જમીન માપણીનું કામ અગાઉ ખાનગી કંપનીને સોંપાયું હતું જેમા પારાવાર ક્ષતિઓ હતી અને ખાનગી કંપનીઓ સાથે મહેસૂલ વિભાગની સાંઠગાંઠના પણ આરોપ લાગ્યા હતા. હવે ફરી એકવાર મુદત પડી છે ત્યારે અગાઉની ભૂલો સુધરશે કે નહીં, જમીન માપણીનો મુદ્દો સંપૂર્ણ ઉકેલવા માટે સરકારનો પ્લાન શું છે. જમીન માપણીમાં ક્ષતિ નિવારવા મુદત ઉપર મુદત કેમ પડ્યા કરે છે

સરકારે જમીન રિ-સરવે માટે મુદત વધારી છે. 31 ડિસેમ્બર 2024 સુધી સરકારે મુદત વધારી છે, જ્યારે રિ-સરવેમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા સમયગાળો વધાર્યો હતો. અનેક ખેડૂતોની અરજીના આધારે સરકારનો નિર્ણય લેવાયો છે. પ્રશ્ન એ છે કે સરવેમાં રહેલી ક્ષતિઓ સુધરશે કે કેમ? ક્ષતિઓ સુધારવા માટે મુદત ઉપર મુદત કેમ પડે છે તે મહત્વનો સવાલ ઉભો થાય છે

રિ-સરવેમાં કઈ અનેક ક્ષતિઓ  

  • ખેડૂતોના નામ બદલાઈ ગયા
  • ખેડૂતોના નામ નિકળી ગયા
  • જમીનના ક્ષેત્રફળ વધી કે ઘટી ગયા
  • કબજામાં ફેરફાર થયો
  • નક્શામાં ફેરફાર થઈ ગયો
  • ગામની આકારણી પણ બદલાઈ ગઈ

જમીન માપણીમાં ભૂલ કેમ થઈ?

રિ-સરવેની કામગીરી ખાનગી કંપનીઓને સોંપાઈ હતી. ખાનગી કંપનીઓએ અનેક ભૂલ કરી છે. ગ્રામસભા બોલાવ્યા વગર જ માપણી કરવામાં આવી છે. કબજેદારોના પ્રત્યક્ષ કબજા મુજબ માપણી નહતી થઈ તેમજ માપણી વખતે લાગુ પડતા સરવેધારકોને હાજર ન રખાયા. ગુગલ મેપના આધાર માપણી કરી છે. ખેડૂતોની ગેરહાજરીમાં માપણી થઈ તેમજ રિ-સરવેની નોટિસ પણ ખેડૂત સુધી પહોંચી નહતી. લાંચ આપીને બિલ પાસ કરાવ્યાના પણ કિસ્સા સામે આવ્યા છે