PM મોદી ગુજરાતના પ્રવાસે; 10 નવી વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે અમદાવાદથી દેશને 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. તેઓ આજે 85 હજાર કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.

તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કરશે અને ગાંધી આશ્રમ સ્મારકનાં માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે, ત્યારબાદ તેઓ બપોરે 1-45 વાગ્યે રાજસ્થાનના પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર બે એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના સંયુક્ત પ્રદર્શન ‘ભારત શક્તિ’નાં સાક્ષી બનશે.

સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ’નો કરાવશે પ્રારંભ

અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે. આજે દાંડી કૂચ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ’ નો પ્રારંભ કરાવશે.

આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે. 17 જૂન 1917ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે 132 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂપિયા 26972 જ્યારે મકાનોની કિંમતનો રૂપિયા 2,95,121નો ખર્ચ થયો હતો.